ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur Dham) ફરી એકવાર ભક્તિ અને સેવના સંગમનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિનના મંગળ અવસરે અંબાણી પરિવારે ગૌ-સેવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં અંબાણી પરિવારે ₹10 કરોડની માતબર રકમ ગૌ-સેવા અર્થે અર્પણ કરી છે.
પ્રોજેક્ટ હેઠળ સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં ભારતની સૌથી અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગૌશાળાની ખાસિયત એ છે કે તેમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિશ્વવિખ્યાત કંપની ‘ડીલાવલ’ (DeLaval) ની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કુલ ₹15 કરોડના ખર્ચે તૈયાર થનારી આ હાઈટેક ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સમગ્ર ગૌશાળાના નિર્માણમાં અંબાણી પરિવાર ‘મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે અને આ સેવામાં અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં.
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ શિખરે હોવા છતાં આ પરિવારમાં રહેલા સનાતન સંસ્કારો વંદનીય છે. અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ ‘મારુતિયજ્ઞ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કોકિલાબા, મુકેશભાઈ અને નીતાબેન સહિત સમગ્ર પરિવારની આ ગૌ-સેવા આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. આ ગૌશાળા માત્ર એક ઈમારત નહીં, પરંતુ પશુ કલ્યાણ અને ટેકનોલોજીના સમન્વયનું ‘અવિસ્મરણીય સંભારણું’ (Unforgettable Landmark) બની રહેશે.